Matthew 7

1તમે કોઈને દોષિત ન ઠરાવો, જેથી તમને કોઈ દોષિત ન ઠરાવે. 2કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે; જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.

3તું તારી આંખમાંનું તણખલું ધ્યાનમાં ન લાવતાં, તારા ભાઈના આંખમાંનું તણખલું શા માટે જુએ છે? 4અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે મને તારી આંખમાથી તણખલું કાઢવા દે; પણ જો, તારી પોતાની જ આંખમાં તણખલું છે! 5ઓ ઢોંગી, પ્રથમ તું પોતાની જ આંખમાંથી તણખલું કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને સારી રીતે દેખાશે.

6જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.

7માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાઓ, તો તમારે સારુ ઉઘાડાશે. 8કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે, જે શોધે છે તેને જડે છે અને જે કોઈ ખટખટાવે છે તેને સારુ ઉઘાડવામાં આવશે. 9તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? 10અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?

11તે માટે તમે ખરાબ હોવા છતાં, જો પોતાનાં બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને તેઓ સારાં વાનાં આપશે? 12માટે જે જે તમે ઇચ્છો છો કે બીજા માણસ તમારા પ્રત્યે જેવું વર્તે, તેવું તમે પણ તેઓ પ્રત્યે વર્તો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો [ની વાતોનો સાર] તે છે.

13તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, તેનું બારણું પહોળું છે અને ઘણા તેમાં થઈને પ્રવેશે છે. 14જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.

15જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુ[ના જેવા] છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો. 16તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરા પરથી અંજીર તોડે છે? 17તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.

18સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. 19દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 20તે માટે તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.

21જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પ્રવેશશે]. 22તે દિવસે ઘણા મને કહેશે કે, પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે ભૂતોને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કાર્યો કર્યા નહોતાં? 23ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટતા કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.

24એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું; 25વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.

26જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું; 27વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.”

28ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા; કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે ઈસુ તેઓને ઉપદેશ કરતા હતા.

29

Copyright information for GujULB